educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Arth Vistar | Vichar Vistar


        ધોરણ -10 ગુજરાતી-001 (પ્રથમ ભાષા)ના વર્ષ: ૨૦૧૯-૨૦ ના સત્રથી બદલાયેલ નવી પરીક્ષા પદ્ધતિ અને પ્રશ્નપત્રના નવા પરિરૂપ મુજબ પ્રશ્નપત્રના વિભાગ - D ના (અ) માં અર્થવિસ્તારનો  પ્રશ્ન પૂછાશે. જેમાં આપેલ બે પંક્તિઓમાંથી કોઇપણ એક પંક્તિનો અર્થવિસ્તાર આશરે  પંદર વાક્યોમાં કરવાનો  રહેશે. જેના 04 ગુણ હશે.
       Arth Vistar / Vichar Vistar For All School's Exam. By Hari Patel  (Ex. Principal) દરેક શાળાકીય પરીક્ષાઓ માટેના મહત્વના અર્થવિસ્તાર

* અર્થવિસ્તાર/ વિચાર વિસ્તાર - 01 *
ઊંચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ,
ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ.


    આ પંક્તિઓમાં કવિએ પ્રકૃતિની જેમ માનવજીવન પણ પરિવર્તનશીલ છે એ વાત રજુ કરી છે.

    જીવનમાં ચડતી-પડતી આવ્યા કરે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી ચોક્કસપણે આવે છે, તેમ જીવનમાં પણ સુખ-દુ:ખની ઘટમાળ ચાલ્યા કરે છે.સુખ અને દુ:ખ એક સિક્કાની બે બાજુ છે.માનવજીવન સુખ અને દુ:ખ સાથે જોડાયેલું છે.ક્યારેક જીવનમાં સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુ:ખરૂપી ઓટ આવે છે.આમ, માનવજીવન સ્થિર નથી પણ પરિવર્તનશીલ છે એ વાત કવિએ પ્રકૃતિના તત્વો દ્વારા સુંદર રીતે સમજાવી છે.

      કવિનો કહેવાનો આશય એ છે કે આપણે સુખના સમયમાં ફૂલાઇ જવું ન જોઇએ. કારણ, સુખ પછી દુ:ખ આવે જ છે. તેજ પ્રમાણે દુ:ખ કે આપત્તિ આવે ત્યારે હિંમત હારવી ન જોઇએ,પરંતુ તેનો સ્વીકાર કરવો જોઇએ અને તેમાંથી નીકળવાનો માર્ગ શોધવો જોઇએ.એટલે જ એક કવિએ સાચે જ કહ્યું છે -
સુખ સમયમાં છકી નવ જવું
      
દુ:ખમાં ન હિંમત હારવી.
બીજા કવિએ કહ્યું છે- એકસરખા દિવસો કોઇના જાતા નથી.


    આમ, સુખ અને દુ:ખ કાયમ ટકતાં નથી. જેથી આપણે સુખ અને દુ:ખની સ્થિતિમાં સમભાવ રાખવો જોઇએ.

* અર્થવિસ્તાર/ વિચાર વિસ્તાર - 02 *
કે હીન જન્મે નવ હીન માનવ,
કે હીન કર્મે કરી હીન માનવ.


             આ પંક્તિઓ દ્વારા કવિ એ કહેવા માગે છે કે કોઇ પણ માણસનું મૂલ્ય તેના જન્મજાત કુળથી નહિ પરંતુ તેણે કરેલા કર્મો થકી થાય છે.

          હીન એટલે નિમ્ન કે નીચો. કોઇ પણ માણસ નિમ્ન કુળમાં જન્મે તેથી તે નિમ્ન કક્ષાનો કે નીચો કહેવાતો નથી. કોઇ પણ કુળમાં જન્મવું એ આપણા હાથની વાત નથી.માણસ ઊંચા કુળમાં જન્મે કે નીચા કુળમાં જન્મે તેથી તે ઊંચો કે નીચો બનતો નથી. તેનું સાચું માપ તો તેના કર્મો દ્વારા જ નક્કી થાય છે. રાવણઉચ્ચ કહેવાતા બ્રામણ કુળમાં જન્મ્યો હતો. પરંતુ તે રાક્ષસવૃત્તિનો હતો. તેનું કુળ ઊંચુ હતું. તેની પાસે અપાર વૈભવ હતો. પણ તેના દુષ્કર્મોને કારણે આજે પણ તે નિંદનીય અને નિમ્ન કક્ષાનો માણસ ગણાય છે. 

           બીજી બાજું ડૉ. ભીમરાવ આંબેડકર એક સામાન્ય દલિત કુળમાં જન્મ્યા હતા, છતાં પોતાની આગવી સૂઝને કારણે તેમણે પી.એચ.ડી.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે ભારત દેશના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ ભારતના બંધારણના ઘડવૈયા તરીકે આજે પણ દેશ અને દુનિયામાં ઊંચું સ્થાન ધરાવે છે.

      આમ, કોઇપણ માણસ નિમ્ન કુળમાં જન્મવા માત્રથી નિમ્ન ગણાતો નથી પરંતુ તેના સારા-નરસા કર્મોને કારણે જ તે ઊંચો કે નીચો ગણાય છે.


* અર્થવિસ્તાર/ વિચાર વિસ્તાર - 03 *
અમને  નાંખો  જિંદગીની  આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.
        આ પંક્તિઓમાં કવિ આપણા જીવનમાં આવતા વિપરિત સંજોગોને મનની મક્કમતાથી ઈચ્છિત સંજોગોમાં ફેરવી દેવાની વાત કરે છે.


       માણસના જીવનમાં ડગલે ને પગલે સંકટો કે પડકારો આવતા રહે છે. આપણે આવા પડકારો ઝીલવા માટે હમેશા તૈયાર રહેવું જોઇએ. જો આપણું મન મક્કમ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણને ઉની આંચ આવતી નથી. માણસના મનમાં એવી છૂપી શક્તિ રહેલી છે કે તે મુશ્કેલીને પણ મહેફીલમાં ફેરવી શકે છે. આફતોના પહાડોમાંથી સ્નેહનું ઝરણું વહાવી શકે છે. મજબૂત મનનો વ્યક્તિ ધારે તો આગને પણ બાગમાં ફેરવી શકે છે.

        મન હોય તો માળવે જવાય અર્થાત્ દ્દઢ ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવા પડકારોનો સામનો કરી શકાય. એટલે જ કહ્યું છે-
અડગ મનના મુસાફરને
હિમાલય પણ નથી નડતો.
       પ્રાચીન કાળમાં જંગલોમાં ભટકતો માનવી આજે જળ, થળ અને નભનો સ્વામી બની બેઠો છે.એ મનની મક્કમતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. મક્કમ મનોબળવાળો આ માનવી શું ન કરી શકે ?
      આમ, દ્દઢ મનોબળ અને ઇચ્છા શક્તિ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ પોતાને અનુરૂપ કરી શકાય છે.


* અર્થવિસ્તાર/ વિચાર વિસ્તાર - 04 *

ત્રણ વાનાં મુજને મળ્યાં; હૈયું, મસ્તક, હાથ,
બહું દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માંગવું.
           આ પંક્તિઓ દ્વારા કવિ પ્રભુ પ્રત્યે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરે છે કે, પ્રભુએ માણસને હૈયું, મસ્તક અને હાથ – એ ત્રણ વિશિષ્ટ અંગો એવાં આપ્યાં છે, જે બીજા પ્રાણીઓને નથી આપ્યાં.
          આ ત્રણ અંગોને કારણે માણસ અન્ય પ્રાણીઓ કરતાં જુદો પડે છે. પ્રભુએ માણસને હૈયુ આપ્યું જેથી તે સુખ-દુ:ખ, હર્ષ-શોક જેવી લાગણીઓને સમજી શકે, મસ્તક આપ્યું જેથી તે સારું અને નવું નવું વિચારી શકે, સારા-નરસા વચ્ચેનો ભેદ પારખી શકે તેમજ જીવનનો ધ્યેય કે લક્ષ્ય નક્કી કરી શકે અને તે માટે યોગ્ય આયોજન કરી શકે. આ સારા વિચારો, લક્ષ્ય કે આયોજનને મૂર્ત સ્વરૂપ આપવા હાથ આપ્યા જેથી તે પુરુષાર્થ કે મહેનત કરીને પોતાનો અને વિશ્વનો વિકાસ સાધી શકે. આ ત્રણ અંગોના યોગ્ય ઉપયોગને કારણે જ આજે માણસ સામાજિક, આર્થિક, ભૌતિક, આધ્યાત્મિક અને વિજ્ઞાન તેમજ સાહિત્ય, સંગીત અને શિલ્પ જેવાં વિવિધ કલાક્ષેત્રે વિકાસ કરી શક્યો. પરિણામે, બીજા પ્રાણીઓ કરતાં તે સુખ-સગવડભર્યું જીવન જીવી રહ્યો છે.
        એટલું જ નહીં, આજના આ ડિઝીટલ યુગમાં પહોંચવાનો શ્રેય આ અંગોને જ આભારી છે. ચાર દિવાલો વચ્ચે રહીને પણ માણસ ઈન્ટરનેટના માધ્યમ થકી દિમાગ અને હાથ ચલાવીને લાખો-કરોડો રૂપિયા કમાઇ શકે છે.
    આ કારણે કવિ પ્રભુનો આભાર વ્યક્ત કરતાં કહે છે, હે પ્રભુ, તમે મને જે અમૂલ્ય ત્રણ વસ્તુઓ આપી છે તે મારા માટે કાફી છે, મને સંતોષ છે. હવે, મારે બીજી વસ્તુઓની શી જરૂર ? એટલે તો કવિ કહે છે, “બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માંગવું.”

4 comments:

  1. સફળતા જિદગી ની હસ્ત રેખા મા નથી હોતી
    ચણાયેલી ઈમારત એના નકશા મા નથી હોતી
    અથૅવિસતાર સમજાવો

    ReplyDelete
    Replies
    1. થોડી રાહ જુઓ.નવો અર્થ વિસ્તાર જુઓ "ચાર વાનાં મુજને મળ્યા.." વિડિયો પણ જોઇ શકશો.

      Delete
    2. સર ! "કદમ અસ્થિર હોય એને રસ્તો કદી જડતો નથી,
      અડગ મનના મુસાફર ને હિમાલય પણ નડતો નથી."
      આ વિચાર વિસ્તાર મૂકોને plz sir!

      Delete

Post Top Ad

Your Ad Spot

Pages